Friday, September 6, 2013

એક મંગલ અવસર: જન્માષ્ટમી

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી;
હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી.

જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે.

જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાત્રે મથુરાની જેલમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી. ‘દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે’ એ ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યાં હતાં. મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો, પછી વસુદેવ શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા તથા જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા અને શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ ગોકુળમાં જાહેર થયો. તેથી શ્રીકૃષ્ણના જન્મદિવસને ‘ગોકુળઅષ્ટમી’ પણ કહે છે.

આ વર્ષે આત્મીય વિદ્યા મંદિરમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવ્યો. કૃષ્ણ ભગવાનના અત્યંત પવિત્ર જન્મદિન નિમિત્તે તેમના અગણિત ગુણોને યાદ કરીને, પર્વને આનંદથી ઊજવવા માટે રાત્રે 8:30 થી 10:00 વાગ્યા સુધી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં નાના નાના ભૂલકાંઓએ ઉલ્લાસમય સ્વરે ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા ગાઈ હતી. ત્યારબાદ પંજરીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

બીજા દિવસે સાંજના 4:00 થી 6:30 વાગ્યા સુધી ફૂટબોલ ગ્રાઉન્ડ ઉપર મટકીફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન હરેશ સર, વિજયસર, આશિષ સર તથા અર્જુનમામા દ્નારા ઠાકોરજીના પૂજનવિધિથી થઈ. ત્યારબાદ દહીં , માખણ , મધ તથા ચોકલેટથી ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ જય રણછોડ માખણ ચોર, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી ના નારાથી શરૂ થયો. જેમાં પ્રથમ મટકી ધોરણ - 1st, 2nd, 3rd ; બીજી મટકી ધોરણ – 4th, 5th, 6th ; ત્રીજી મટકી ધોરણ – 7th, 8th, 9th તથા ચોથી મટકી ધોરણ - 10th, 11th, 12th ના વિદ્યાર્થીઓ દ્નારા ફોડવામાં આવી. આમ, કૃષ્ણ જન્મોત્સવ તથા મટકીફોડના કાર્યક્રમની ઉજવણી ખૂબ જ શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી.

જન્માષ્ટમીનો ઉત્સવ ફક્ત વિદ્યાર્થીઓના આનંદ માટે જ નહિ, પણ તેમને ભારતીય સંસ્કૃતિનું ધાર્મિક મહત્વ બતાવવા માટે રહ્યો.

ગૌતમ સર (ગુજરાતી શિક્ષક)

No comments: